૩ - ભગવાનનાં ધ્યાનનાં

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૫, ૧૫)

મુક્તોએ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું ને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહિ ને એવા આગ્રહવાળા ઉપર ભગવાનની કૃપા થાય છે ને ભગવાન એને વશ થઈ જાય છે. (૫)

જે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારે ને મૂર્તિ ન ધરાય તો પણ કાયર ન થાય, ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને ભૂડાં ઘાટ-સંકલ્પ તેમને ભગવાનનો મહિમા સમજીને ખોટા કરતો રહે ને વર્ષો વિતી જાય છતાં મૂર્તિ ધારવાનું મૂકે નહિ તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. (૧૫)

કારિયાણી પ્રકરણમ્ (૧૨)

સંત સમાગમથી ભગવાનને ઓળખીને ભગવાનનું ધ્યાન કરે ને ભગવાનના વચનમાં વર્તે તો કારણ દેહરૂપી અજ્ઞાનનો નાશ થાય છે. (૧૨)

વરતાલ પ્રકરણમ્ (૪, ૯, ૧૬)

યોગકળાએ કરીને ભગવાનની મૂર્તિ ધારવાનો ઉપાય એ છે જે વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે ભગવાનની મૂર્તિને ધારીને ચિંતવન કરવું, અને મૂર્તિની અડખે-પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે-પડખે પદાર્થ દેખાય તો ભૃકુટીના મધ્યે ધારવી અને આળસ-નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂકડી લાવવી ને અડખે-પડખે ધારવી, પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભૃકુટીમાં લાવીને હૃદયમાં ઊતારવી, અને બે વૃત્તિઓ હોય તે એક કરવી. એમ કરતાં આળસ-નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી એવી રીતે જ્ઞાન ઇંદ્રિયોદ્વારે ભગવાનની મૂર્તિ ધારવી. પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યાવહારિક વિક્ષેપ આવે તો પણ મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ. (૪)

શ્રીજીમહારાજના તેજરૂપ ચિદાકાશને મધ્યે, શ્રીજીમહારાજ સદાય વિરાજમાન છે. તેમને વિશે સમાધિએ કરીને ક્ષણમાત્ર સ્થિતિ થાય તો હજારો વર્ષ સુખ ભોગવ્યું એમ લાગે એવું શ્રીજીમહારાજનું નિર્ગુણ સુખ છે અને માયિક સુખ નાશવંત છે. (૯)

જેને ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી હોય તેને સત્સંગીને પુષ્ટિ કરવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, પંચવર્તમાન, ધ્યાન - ઉપાસનાની જે વાતો કરવી તેમાં મૂર્તિનું અનુસંધાન ભૂલી જવાય એવો આગ્રહ ન રાખવો. (૧૬)

અમદાવાદ પ્રકરણમ્ (૧)

યોગમાર્ગે ધ્યાન કરવામાં પ્રથમ પોતાના આત્માને જોવો ને તે આત્મામાં શ્રીજીમહારાજનું ધ્યાન કરવું. તેણે કરીને સૂક્ષ્મ દેહ જુદો દેખાય છે ને બ્રહ્માંડની રચના દેખાય છે ને નાસ્તિક ભાવ ટળી જાય છે ને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ ભગવાનનો ભક્ત સિદ્ધિઓને ગ્રહણ ન કરે ને કેળવ ભગવાનનું ધ્યાન જ કરે તો સિદ્ધદશાને પામે છે ને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વિના પણ ભગવાનના એકાંતિક ભક્ત ભગવાનનું ધ્યાન કરે તો તત્કાળ તે ધ્યાન સિદ્ધ થાય છે.(૧)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૨૩, ૩૧)

ભગવાનના ભક્તોએ ત્રણે ઋતુને વિશે ભિન્ન ભિન્ન પ્રકારે ભગવાનની માનસી પૂજા કરવી. તેણે કરીને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે. તે માનસી પૂજાની વિક્તિ જે ત્રણે ઋતુને અનુરૂપ જે માયિક પદાર્થ, વસ્ત્રાદિક અલંકારે કરીને માનસી પૂજા કરવી. તે અવરભાવની છે અને પોતાને દિવ્ય ચૈતન્યમય અવયવે રહિત માનીને પોતાના આત્માને વિશે શ્રીજીમહારાજની મૂર્તિ દિવ્ય તેજોમય ધારવી ને સર્વે પદાર્થ ચૈતન્યમય ધારીને જમાડવા અને વસ્ત્રાદિક અલંકાર તે મૂર્તિ જેવા જ દિવ્ય ધારવાં એ પરભાવની માનસી પૂજા છે. (૨૩)

ભગવાનનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે તેને ધામમાં જે મૂર્તિ છે તે અને ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ જણાય છે. ને ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિને નેત્રમાં જુએ તો નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. અને કંઠથી હેઠે સુધી માંહેલી કોરે જુએ તો બહુ જ મોટી દેખે અને બુદ્ધિમાં તથા બુદ્ધિએ યુક્ત એવો જીવ તેમાં જુએ તો અંગુષ્ટ માત્ર દેખે અને ભગવાનનું તેજરૂપ જે ધામ તે રૂપ થઈને જુએ તો પ્રથમના જેવી દેખે. ને આ સર્વે પ્રકારમાં ભગવાનના તેજરૂપ થઈને ધ્યાન કરવું સર્વથી સુગમ ને શ્રેષ્ઠ છે. (૩૧)