૨. મૈં બુબનમેં ક્યા રહું...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટછાપ કવિઓમાં અગ્રગણ્ય કવિ શ્રી બ્રહ્માનંદે પોતાની ભક્તિકવિતામાં બ્રહ્મબોલના પડછંદા ગજાવ્યા છે. એમનો જન્મ સં. ૧૮૨૮ના મહા સુદ વસંતપંચમીએ ગિરિરાજ આબુની તળેટીમાં આવેલા શિરોહી રાજ્યના ખાંણ ગામમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ લાડુદાન હતું. એમના પિતા શંભુદાન ગઢવી શિરોહીના મહારાવશ્રીના રાજકવિ હતા.

લાડુદાને બાલ્યકાળમાં ગામના પૂજારી શિવશંકર પાસે પ્રારંભિક વિદ્યાભ્યાસ કર્યો. એકવાર તેઓ પિતાશ્રી સાથે રાજદરબારમાં ગયા ત્યારે આ બાલકવિની કેટલીક શીઘ્ર રચનાઓ સાંભળી મહારાવશ્રી અત્યંત પ્રભાવિત થયા. એ સમયે આખાય ગુજરાત અને રાજસ્થાનમાં કચ્છના ભુજ ગામમાં ચાલતી ‘શ્રી લખપતી વ્રજભાષા પાઠશાળા’ અત્યંત ખ્યાતનામ હતી. તેમાં લાડુદાનને રાજના ખર્ચે ભણવા મોકલવાનું રાજાએ સૂચન કર્યું. રાજાની આજ્ઞા માની પિતા શંભુદાને ભારે હૈયે અઢાર વરસના લાડુદાનને ભુજની કાવ્યશાળામાં પિંગળશાસ્ત્રના વિશદ્‌ અભ્યાસ માટે મોકલ્યા. પાઠશાળાના આચાર્ય રાજકવિ શ્રી અભયદાનજી પાસે દશ વરસ રહી લાડુદાનજીએ પિંગળ અને ચારણી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. એટલું જ નહીં એમણે સાહિત્યના અનેક વિરલ ગ્રંથો વાંચી શતાવધાન અને સહસ્ત્રાવધાન જેવી વિશિષ્ટ વિદ્યાઓમાં પણ પ્રાવિણ્ય પ્રાપ્ત કર્યું.

ભુજની કાવ્યશાળાનો અભ્યાસ પૂર્ણ કરી કવિરાજ લાડુદાન ભુજથી ધમડકા આવી ત્યાંના જગપ્રસિદ્ધ સંગીતાચાર્ય પંડિત શ્રી વિજયકુશળજી ભટ્ટાચાર્ય પાસે શાસ્ત્રીય સંગીત તથા સંસ્કૃત વાઙમય શીખ્યા. ધમડકામાં લાડુદાનજીને પોતાના પિતાશ્રી શંભુદાનજીના ગુરુ સદ્‌ગુરુ રામાનંદ સ્વામીનો અનાયાસે મેળાપ થઈ ગયો. સ્વામીશ્રીના અમોઘ આશીર્વાદ મેળવી કવિરાજ ધ્રાંગધ્રા, માળિયા અને મોરબી થઈ જૂનાગઢ આવ્યા. જૂનાગઢમાં લાડુદાનજીએ ત્યાંના નવાબ હામીદખાનજીને પોતાની કવિત્વશક્તિથી એટલા બધા પ્રભાવિત કરી નાંખ્યા કે નવાબે પોતાના શાહજાદા બહાદૂરખાનને એમની પાસે સંગીત અને ગઝલ - નઝમ શીખવા માટે મોકલ્યા. ત્યાંથી કવિ પાલીતાણા થઈને ભાવનગર આવ્યા.

ભાવનગરના મહારાજા વજેસિંહ બાપુએ એમનું ભવ્ય સન્માન કર્યું. મહારાજાએ કવિને શિરપાવ તરીકે સુવર્ણ આભૂષણો આપવાના આશયથી વેઢ, વીંટી, બાજુબંધ વગેરે દાગીનાનું માપ લેવા માટે રાજુલાવાળા નાગદાન સોનીને બોલાવ્યા. સોની મહાજન ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સત્સંગી હોવાથી તેમણે લલાટે ઊર્ધ્વપુંડ્ર તિલક અને કુમકુમનો ચાંદલો કર્યો હતો. એ જોઈને કવિએ રમૂજ કરી : ‘મહાજન, આ ભેંશ ભડકામણું તિલક શેનું છે?’ નાગદાને નમ્રતાથી ખુલાસો કર્યો : ‘કવિરાજ, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત સત્સંગી છું, આ એનું તિલક છે.’

ત્યારે વજેસિંહ બાપુએ વચમાં ટાપસી પૂરતા કહ્યું : ‘કવિરાજ, અમારા રાજ્યમાં આવેલા ગઢડા ગામમાં એ સ્વામિનારાયણનો નિવાસ છે. એમને આ બધાં શ્રદ્ધાળુઓ ભગવાન માનીને પૂજે છે...’

કવિએ આ સાંભળીને પોતાની મુછે વળ દેતા કહ્યું : ‘બાપુ, અમે ચારણ ખાત્રી કર્યા વિના એમ લોલેલોલ કોઈને ભગવાન ન માનીએ. તમે કહેતા હોવ તો હું જાતે અબઘડી ત્યાં જઈને ખાત્રી કરી આવું કે એ ભગવાન છે કે ધતિંગ ?’

વજેસિંહજીને તો એટલું જ જોઈતું હતું, તેથી તેમણે તો તરત જ હા ભણી, પરંતુ નાગદાન સોનીએ મર્મમાં એટલું કીધુંઃ ‘કવિરાજ, મીઠાની ભરેલી કોથળી ખારા સમુદ્રનો તાગ લેવા જાય તે પાછી આવે ખરી ?’

ભગવાન સ્વામિનારાયણની કસોટી કરવાનો આ પ્રયોગ જ કવિ લાડુદાનના જીવનમાં આમૂલ ક્રાંતિ સર્જક બન્યો.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ ગવાહ છે કે પછી લાડુદાનના જીવનમાં શું બન્યું? સાગરનો તાગ લેવા નીકળેલી એ મીઠાની કોથળી ઓગળીને સાગરમાં સંપૂર્ણપણે સમાઈ ગઈ. રાજકવિ લાડુદાનજી અંતે ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય આશ્રિત બન્યા. થોડા દિવસ પછી એકવાર સાંજની સભામાં એભલખાચર અને જીવાખાચરે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીઃ ‘મહારાજ, અમે સાંભળ્યું છે કે કવિરાજ લાડુદાનજી શતાવધાની અને સહસ્ત્રાવધાની છે. જો આપ આજ્ઞા આપો તો એક વિરાટ સભાનું આયોજન કરી આપણે સૌ એમની એ અદ્‌ભુત કળાનો લાભ લઈએ.’

શ્રીજીમહારાજની આજ્ઞા મળતાં લક્ષ્મીવાડીમાં વિશાળ શમિયાણો બાંધી લાડુદાનજીના શતાવધાન અને સહસ્ત્રાવધાનના જાહેર પ્રયોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રીજીમહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી વિરાટ સભામાં ઉપસ્થિત કાઠી દરબારો, અમીર ઉમરાવો, સંત સમુદાય, વિદ્વાન શાસ્ત્રીઓ તથા ભાવનગર રાજ્યના હજારો નાગરિકો સમક્ષ શ્રીજીમહારાજની આજ્ઞાથી શતાવધાન પ્રયોગ પ્રારંભ કરતા કવિરાજ લાડુદાનજીએ જણાવ્યુંઃ ‘જેને જે જે વિષય ઉપર પ્રશ્નો પૂછવા હોય તેઓ મને ખુશીથી પૂછી શકે છે, દરેકને મારી સાથે સંવાદ કરવાની છૂટ છે.’

સૌ પ્રથમ કાઠી દરબારોએ કાઠીકળા રચી અનેક પ્રકારે કવિરાજની કસોટી કરી. ત્યારબાદ શતાવધાન પ્રયોગ દરમ્યાન જુદી જુદી કામગીરી કરવા એક સો માણસોને તેઓના સાધનો સહિત આસપાસ હાજર રાખેલા હતા, તે સૌ પોતપોતાનું સોંપેલું કાર્ય કરવા લાગ્યા. ગણિતના હિસાબો, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય - ચંદ્ર વગેરેની ગતિઓના હિસાબો, અણઉકેલ્યા કોયડાઓ, ઉખાણાઓ, ગૂઢાર્થવાળાં કાવ્યો, ભજનો, પાદપૂર્તિઓ, ઘડિયાળના ડંકાઓ, ઘોડાના કાવાઓ, કાવ્યોના ભાષાન્તરો, અનેક બાબતોની ચર્ચાના સવાલ - જવાબો, ગુજરાતી, કચ્છી, મરાઠી, મારવાડી, વ્રજ, ઉર્દૂ અને સંસ્કૃત એ સાત ભાષાઓના કાવ્યો, નવીન શીઘ્ર કાવ્યો, વશીકરણ પ્રયોગો ઇત્યાદિ એક સો કાર્યો એક પણ ભૂલ વિના માત્ર એક જ કલાકની અંદર એવી તો કુશળતા અને ચાલાકીથી કવિરાજે કરી બતાવ્યા કે જોનારાઓ અચંબો પામી ગયા.

અંતે અધ્યક્ષ સ્થાનેથી ઉપસંહાર સ્વરૂપે શ્રીજીમહારાજે કવિરાજને ત્રણ માર્મિક પ્રશ્નો પૂછ્યાઃ ‘તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અને હવે તમે ક્યાં જવાના છો?’

શ્રીહરિના ગૂઢ પ્રશ્નોના સરળ શબ્દોમાં જવાબ આપતા કવિએ મહારાજને પ્રણામ કરીને કહ્યુંઃ ‘મહારાજ, હું બ્રહ્મ છું. બ્રહ્મધામમાંથી આવ્યો છું અને પાછા બ્રહ્મધામમાં જ જવું છે.’ પોતાના આ આખરી જવાબને વધુ વિસ્તારથી સમજાવવા માટે કવિએ શીઘ્ર એક ઉર્દૂ ગઝલ રચીને સભામાં ગાઈ સંભળાવીઃ

‘મૈં બુબન મેં ક્યા રહું, મેરા દિલ લુભાના વે;

અંતર દીદું દેખતાં, જાહીર જનાના વે.’

કવિરાજ લાડુદાનજીનો મનમાન્યો જવાબ અનેરી પ્રભુ મહિમાની મસ્તીવાળી ગઝલરૂપે સાંભળી શ્રીજીમહારાજે અત્યંત પ્રસન્ન થઈને માથે બાંધેલી સોનેરી પાઘ સહિત પોતાનો જરિયાન પોષાક અને સુર્વણ અલંકારો મહાકવિને બક્ષિસરૂપે આપી તેમને પોતાની પ્રસાદીનો મોગરાના પુષ્પનો હાર પહેરાવી ‘બોલો બ્રહ્મપુરુષની જય’ એવો પ્રગલ્ભ શબ્દધ્વનિ કરી લાડુદાનજીનું અલૌકિક અભિવાદન કર્યું. ઉપસ્થિત વિરાટ માનવ મેદનીએ જયઘોષનો પ્રતિધ્વનિ કરી સમગ્ર વાતાવરણને સમુલ્લાસથી ભરી દીધું.(લાડુદાનજી (સદગુરુ બ્રહ્માનંદ સ્વામી)ના જીવનનો આ અંતિમ શતાવધાન પ્રયોગ હતો. (પ્રસંગ સંદર્ભ : શ્રી બ્રહ્મ સંહિતા – પ્ર. ૩, અ.૪))

કાવ્યકૃતિ :

મૈં બુબનમેં ક્યા રહું, મેરા દિલ લુભાના વે;

અંતર દીદું દેખતાં, જાહીર જનાના વે. ટેક. ૧

મોજ કરી મુજ ઉપરે, અઢળક ઢળ્યા હૈ વે;

આસ લગીઆં ઉનસે, માશુક મિલા હૈ વે. મૈં. ૨

ગુંગેકું જબ ગુડ મિલ્યા, તબ ક્યા બખાને વે;

અંતરજામી અંતરે, સબ બાત જાને વે. મૈં. ૩

ગુલતાન ચડ્યા રંગ ગેબકા, અલમસ્ત અલ્લા હિ વે;

‘લાડુ’ કહે હરદમ સે, અબ લ્હે લગાડી વે. મૈં. ૪

આસ્વાદ :

ભગવાન સ્વામિનારાયણે ભરી સભામાં જેમને ‘બ્રહ્મપુરુષ’ કહીને નવાજ્યા હતા તે લાડુદાન ગઢવી ઉર્ફે સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી સંપ્રદાયના સંતકવિઓ રૂપી નક્ષત્રમંડળમાં સૂર્ય સમાન શોભે છે.

આત્મજાગૃતિ આવ્યા પછી પ્રભુનિષ્ઠ પ્રેમી ભક્તના અંતરમાં કેવા ભાવ પ્રગટે છે તેનું રોચક નિરુપણ કવિએ પ્રસ્તુત સૂફી છાંટવાળી ઉર્દૂ ગઝલમાં કર્યું છે.

રાજકવિ લાડુદાનજી એક વિચક્ષણ રાજપુરુષ હતા, ભાવનગર નરેશે સહજાનંદ સ્વામીની કસોટી કરવા માટે એમને ગઢપુર મોકલ્યા હતા. પરંતુ સહજાનંદ સ્વામીને મળ્યા પછી એમને સમજાઈ ગયું કે જે પરાત્પર પરબ્રહ્મની ખોજમાં પોતે જન્મોથી ભટકે છે એ જ આ પ્રગટ પરમાત્મા છે. જે ઘડીએ લાડુદાને સહજાનંદને પરાત્પર પરબ્રહ્મરૂપે ઓળખ્યા એ ઘડી પણ ધન્ય થઈ ગઈ. પરબ્રહ્મની પિછાણ થયા પછી બ્રહ્મ દેહ કે ઘર-સંસારમાં શા માટે આસક્ત રહે? તેથી કવિ કહે છે - ‘મૈં બુબન મેં ક્યા રહું, મેરા દિલ લુભાના વે.’ બુબન ફારસી શબ્દ છે. અહીં તે ઘર યા સંસારના અર્થમાં પ્રયોજાયો છે.

અંતરમાં આત્મપ્રકાશનું અજવાળું થતાં કવિને જાહેરમાં પરબ્રહ્મનું માનુષી સ્વરૂપ ઓળખાયું અને એમનું દિલ એમાં લોભાઈ ગયું. હવે હું શા માટે દેહ અને દેહના સંબંધીઓથી ઘેરાયેલા આ તુચ્છ સંસારમાં બંધાઈ રહું?

બીજા અંતરામાં સૂફીમતની છાંટ સ્પષ્ટ વર્તાય છે. પ્રિયતમાભાવે પ્રિયતમ પ્રભુને પ્રેમ કરવો એ પ્રેમલક્ષણા ભક્તિનું પ્રધાન લક્ષણ છે. જ્યારે સૂફીમતમાં આશક ભાવે પરવરદિગારને માશૂક (પ્રિયતમા) માનીને તેમની સાથે મહોબ્બત કરવાની હોય છે. કવિ કહે છે : મને જન્મોથી જેની લગની લાગેલી તે પરમાત્મા આજે મારી પ્રિયતમા બનીને મને ચાહે છે અને મારી ઉપર અઢળક ઢળીને પોતાની બેપનાહ મહોબ્બત મને આપે છે. હવે મારી હાલત તો એવી થઈ છે જેમ મુંગા માણસને કોઈ ગોળ ખવડાવી તેનો સ્વાદ પૂછે તેમ મને જે પ્રાપ્તિ થઈ છે તેનો મહિમા હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પરંતુ મારા અંતરની સઘળી વાત અંતરયામી પ્રભુ તો જાણે જ છે ને?

છેલ્લા અંતરામાં પોતાના દિલની કેફિયત પેશ કરતા કવિ કહે છે : હવે તો મને મારી માશૂક પ્રત્યેની મહોબ્બતનો એવો ગેબી રંગ ચડ્યો છે કે એના પ્યારમાં ગુલતાન થઈ હું અલમસ્ત દિવાનો બની ગયો છું. હવે તો હરદમ મને એના પ્રેમની લત લાગી ગઈ છે. માટે જ હું વારંવાર કહું છું કે હવે હું શા માટે આ તુચ્છ સંસારમાં રહું?

પદ હિન્દી - ઉર્દૂમાં હોવા છતાં એમાં તળ ગુજરાતીપણું મહેંકે છે. સહજ રીતે અને મધુરતાથી ભર્યો ભર્યો આ દ્વિભાષિક વિનિયોગ વિષયને તેમ જ કથ્યને વધુ જીવંત બનાવે છે.