2
શ્રીજીમહારાજ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદ્ગુરુશ્રીઓ, બ્રહ્મનિષ્ઠ સંતો તથા હરિભક્તોની આ દિવ્ય સભાને કોટાનકોટી દંડવત્ પ્રણામ સહ દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પી કૃતાર્થતા અનુભવું છું. (કોઈક સંતને માટે દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પવાનું કહે છે.) હવે આપણા પ. પૂ. સદ્ગુરુવર્ય શ્રી હરિજીવનદાસજી સ્વામી આશીર્વચન આપણને સૌને આપશે. સ્વામી ઘણીવાર એવા દર પ્રસંગે આપણને એમ યાદ આપે છે, આશીર્વાદ આપે છે કે આશીર્વાદમાં જ બેઠા છીએ અને આશીર્વાદ તો મળી ચૂકેલા છે. હવે શું બાકી રહ્યું?
આ અવરભાવની દૃષ્ટિએ પણ દરરોજ પ્રાતઃકાળે સ્નાન કરવું પડે છે ને તેમાં કોઈ કંટાળતું નથી. કોઈ એમ નથી કહેતું કે અમે ઘણા વર્ષ સુધી સ્નાન કર્યું હવે શું આખો દહાડો સ્નાન કર્યા કરવું? એવું અવરભાવમાં ય કોઈને નથી થતું. મહારાજના દિવ્ય સુખમાં મુક્તો સુખ લેતા તૃપ્તિ પામતા નથી. એમ આશીર્વાદરૂપી સુખરૂપ ગંગામાં વારંવાર સ્નાન કરવાનું મળે, તો તૃપ્તિ થાય ખરી? તો એમના મુખ થકી આપણે આશીર્વાદ વચનો દર સભામાં સાંભળીએ તો અધિક અધિક આનંદ આવે છે. એમાં કોઈ શંકા મને લાગતી નથી. મારી વાત સાચી છે ને? (સભા) હા...
(પછી કોઈક હરિભક્તના મંદવાડની દવાખાનામાં ઉપચાર થવાની વાત કરે છે.)
મહારાજ (દવાખાનામાં પણ) પ્રગટ થઈને દર્શન આપીને પોતાના દિવ્ય સુખનો અનુભવ કરાવી દે છે. માટે કોઈ દિવસ દવાખાનું ને એવું બધું માનવું નહિ. સૂગ ન રાખવી. સૂગ એ તો દેહભાવ છે. ત્યાં જઈએ ને દવાખાનું દેખાય તો બાહ્યવૃત્તિ થઈ કે નહિ? બાહ્યવૃત્તિ સદંતર કાઢી નાખીએ તો એવું ન લાગે કે આપણે અક્ષરધામ સિવાય બીજે છીએ. જ્યાં જઈએ ત્યાં અક્ષરધામ. બધાનું સારું થાય ને? ભલે થાય. આપણે દેહભાવ લાવવો નહિ. આપણે મહારાજના દિવ્યસ્વરૂપમાં છીએ જ એવું અનુસંધાન, એવી અખંડ સ્મૃતિ, તેલધારા વત્ વૃત્તિ થવી જોઈએ ને? અને એવી રીતે કોઈ દહાડો મહારાજ કોઈને લઈ જાય, કોઈક ભગવાનના ભક્તનો દવાખાનામાં દેહ પડે તો એ વખતે જો સંકલ્પ થઈ જાય તો એ ખોટું છે. એમ વિચાર ન કરવો કે એનો દેહ દવાખાનામાં પડ્યો શી ખબર શું હશે એનું? અરે ભાઈ! દવાખાનામાં મહારાજ અને મુક્ત એને તેડવા આવ્યા તો દવાખાનું પાવન થઈ ગયું. અને એમાં શું એનું ગયું? ઊલટું સારું થયું કે કેટલાયનું સારું કરીને પોતે ધામમાં ગયા ને? ભગવાન જ્યાં પધારે ત્યાં બધાયને સારું કર્યું. એ તો કેવો સરસ દેહોત્સવ કહેવાય? જરાય ખોટું નથી. મને તો નથી લાગતું. ભગવાન ને મુક્ત પધારે, બધાયનું કલ્યાણ કરતાં કરતાં મહારાજ લઈ જાય એ તો સારું ને? મહારાજ એટલા માટે લઈ જાય છે કે અહીંયા (દવાખાનામાં) માનવ સેવા થાય છે. ત્યાંના આ ડૉક્ટરો અને આ તબીબી કાર્યકરોને લાભ કેવી રીતે મળે? તો એટલા માટે લઈ જાય છે, પરાણે લઈ જાય છે. આપણી ઇચ્છા ન હોય તો ય.
આપણે શું કામ ઠરાવ રાખવો? મહારાજ જ્યાં આગળ લઈ જાય ત્યાં જઈએ. સિદ્ધાંત એક, મૂર્તિમાં રહેવું. મૂર્તિ ક્ષણભર ભૂલવી નહિ. બધે આનંદ હોય પછી સૂગ રહે ખરી? દેહભાવમાં સૂગ છે. અંતર્વૃત્તિમાં સૂગ કે એવું કાંઈ જ નથી, ત્યાં તો અખંડ આનંદ. એટલે આ હરિગંગાબેન એકાંતમાં ધામમાં ગયા ત્યારે મહારાજ ને મુક્ત એમને તેડી ગયા. એ તો મહામુક્ત હતા. અને આખું દવાખાનું પાવન થઈ ગયું. હું તો ખરેખર એમના આ દેહોત્સર્ગને ધન્યવાદ અર્પું છું કે મહારાજ તમે કેટલી દયા કરી. આ બહેન કેટલી ભાગ્યશાળી? તો આપણે જરૂર પ્રાર્થના કરીએ કે મહારાજ એમને અધિક અધિક મૂર્તિનું સુખ આપે અને એમના કુટુંબમાં બધાને મહારાજની મૂર્તિનો આનંદ ને શાંતિ મળે. એક ભાઈ હતા. એમના ઘરેથીને (પત્નીને) એવી નિષ્ઠા છે. મહારાજ કહે, આજ્ઞા-ઉપાસનાથી મને રાજી કરે છે. એમનો હથેવાળો મારી સાથે થઈ જ ચૂક્યો છે, તેમને એ વિધુરે ય નથી થતો અને વિધવા ય નથી થતા. એ તો જે ભગવાનના ધામમાં જતા ન હોય, ભગવાન ભજતા ન હોય એ વિધુર કે વિધવા થાય. એને અનેક પ્રકારની માથાકૂટ. બાકી ભગવાનની મૂર્તિમાં રહેલા મુક્તોએ આ સમજણ રાખવી કે એવા મુક્તો કોઈ દહાડો વિધુરે ય થતા નથી, વિધવા ય થતા નથી ને ભૂમાનંદ સ્વામીની જેમ અખંડ સોહાગી થવાના. પછી તો તે બહેન (જેમના પતિ ધામમાં ગયેલા તે) નાચવા મંડી ગયા. હું તો એવી અખંડ સોહાગી થઈને કે વાત જ મૂકી દો. ભગવાન મારા પતિ વાહ, વાહ, વાહ. એ સમજણ કેવી સરસ! મહારાજે જો આવું પ્રકરણ રાખ્યું હોય ને તો વિચાર થાય ને? ભગવાને પોતે સમજાવ્યું કે આવા પ્રસંગનું રહસ્ય તો ભગવાન ને ભગવાનના સત્પુરુષ થકી જ જાણ્યામાં આવે છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય... બાપાશ્રીની જય...
સારાંશ
અવરભાવમાં જેમ રોજની દૈનિક ક્રિયાથી કોઈ કંટાળતું નથી તેમ મુક્ત મહારાજના દિવ્ય સુખમાં સુખ લેતા તૃપ્તિ પામતા નથી. બાહ્યવૃત્તિ સદંતર કાઢી નાંખીએ તો એવું ન લાગે કે આપણે અક્ષરધામ સિવાય બીજે છીએ. જ્યાં જઈએ ત્યાં અક્ષરધામ.
દવાખાનું કે એવી કોઈ જાતની સૂગ ન રાખવી. દેહભાવમાં સૂગ છે. અંતર્વૃત્તિમાં સૂગ કે એવું કાંઈ જ નથી. ત્યાં તો અખંડ આનંદ છે. દવાખાનામાં દેહ પડે ત્યારે ભગવાન મુક્તને લેવા દવાખાનામાં પધારે તો ત્યાં રહેલા દર્દીઓ, ડૉક્ટરો બધાને લાભ મળે. કારણ, ત્યાં સેવાનું કાર્ય થાય છે. એટલે ઘણી વખત મહારાજ મુક્તને પરાણે દવાખાનામાં લઈ જઈ ધામમાં તેડી જાય છે. એ વખતે એમાં જરા પણ સંકલ્પ કરવો નહિ.
જેને ભગવાન જેવા ધણી મળ્યા હોય એ ક્યારેય વિધવા કે વિધુર થતા જ નથી.