૧. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ
પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અવતારી કાર્યને મૂલવવાના પ્રયાસને મહાસાગરને તળિયેથી મોતી કાઢવાના પ્રયાસ સાથે સરખાવી શકાય. પરબ્રહ્મ પરમાત્માને કોઈ શું મૂલવી શકે? તેમને કોઈ શું ઓળખાવે? તે પોતે જ પ્રગટ થઈ પોતાને ઓળખાવે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા છે, એની સાબિતી કેવળ સ્વાનુભવ છે. એ બુદ્ધિથી નહિ પણ અનુભવથી જ સમજી શકાય એમ છે; છતાં સર્વહિતાર્થે સમકાલીન સમર્થ ચિંતકો, મહાપુરુષોના અભિપ્રાયો, સંતો ને મુમુક્ષુજનોને થયેલા પ્રત્યક્ષ અનુભવો અને શાસ્ત્રોનાં આધારવચનો પરથી એનું સમર્થન કરવા આપણે નમ્ર પ્રયાસ કરીએ; જો કે ભગવાનનાં ચરિત્રોમાંથી યથાર્થ સાર તો તેના ખાસ ખપવાળાઓ જ સમજે છે.
શ્રી સ્વામિનારાયણમાં ઘડીભર ભગવાન તરીકેનું આરોપણ ધારો કે ન કરીએ તો ય એમના ચારિત્ર્યનું નિરીક્ષણ જો કરવામાં આવે તો તેના પરથી આપણને લાગશે જ કે તે મનુષ્યના જીવનને વિશેષ ઉન્નત અને ઉપકારક બનાવે એવું છે.