૪૭ ધામમાં જવાનું ઓળખપત્ર
બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો.
ઉઠાતું બેસાતું પણ ન હતું.
બાપાશ્રી ધ્યાન અવસ્થામાં જ રહેતા.
હરિભક્તો સેવા કરે.
બાપાશ્રી સેવકોને કહે, 'મને સ્નાન કરાવો.'
સેવકો કહે, 'બાપા, આપ માંદા છો સ્નાન કેવી રીતે કરશો?'
બાપાશ્રી કહે, 'મને માંચીમાં બેસાડી લઈ ચાલો.'
સેવકોએ માંચીમાં જ સ્નાન કરાવ્યું.
બાપાશ્રી કહે, 'મારી પૂજા લઈ આવો.'
સેવકો લઈ આવ્યા.
બાપાશ્રી કહે, 'મને તિલક-ચાંદલો કરી આપો.'
સેવક કહે, 'બાપા, પૂજા કરી. તિલક-ચાંદલો નહિ કરો તો ચાલશે. માંદાને તો ચાલે.'
બાપાશ્રી કહે, 'હું ગમે તેવો માંદો હોઉં તો પણ મને તિલક-ચાંદલો કરી જ આપવા.'
સેવકે તિલક-ચાંદલો કરી આપ્યા.
એક હરિભક્ત બાપાશ્રીના દર્શન કરવા આવ્યા.
બાપાશ્રીએ તેમને પૂછ્યું, 'તમે પૂજા કરીને આવ્યા?'
હરિભક્ત કહે, 'હા પૂજા કરીને આવ્યો.'
બાપાશ્રી કહે, 'પૂજા કરી અને તિલક-ચાંદલો ન કર્યાં?'
હરિભક્ત કહે, 'બાપા, એ રહી ગયું.'
બાપાશ્રી કહે, 'સત્સંગીએ તિલક-ચાંદલો કરવા જ જોઈએ. તિલક-ચાંદલો ન કર્યા હોય તો કોઈને કેવી રીતે ખબર પડે કે આ સત્સંગી છે?'
હરિભક્ત કહે, 'બાપા, ભૂલ થઈ. હવે ક્યારેય નહિ ભૂલું.'
બાપાશ્રી કહે, 'હમણાં જ જઈને કરી આવો.'
હરિભક્ત ગયા.
બાપાશ્રી કહે, 'તિલક-ચાંદલો અને કંઠી સત્સંગીને હોવા જ જોઈએ. ધામમાં જઈએ અને તિલક-ચાંદલો ન હોય તો કોઈ ઘૂસવા ન દે. તિલક-ચાંદલો કર્યા હોય તો કોઈ રોકે નહિ. સીધા મહારાજ પાસે પહોંચી જવાય. સત્સંગીને કંઠી, તિલક-ચાંદલો એ ધામમાં જવા માટેનું ઓળખપત્ર છે. ઓળખપત્ર વિના કોઈ ઘૂસવા ન દે. એ હંમેશાં સાથે રાખવું.'
સેવકો અને હરિભક્તો કહે, 'બાપા, અમે તમારી વાત સદાય યાદ રાખીશું.'
---------
શબ્દનો અર્થ
માંચી = નાની ચોરસ ખાટલી.
→ શાળામાં દાખલ થવા જેમ ઓળખપત્ર હોય છે. તેમ કંઠી, તિલક-ચાંદલો એ ધામમાં જવા માટેનું ઓળખપત્ર છે.
→ કંઠી તિલક-ચાંદલો હોય તો જ સ્વામિનારાયણના કહેવાઈએ.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧.બાપાશ્રીએ શા માટે માંચીમાં બેસી સ્નાન કર્યું?
૨.પૂજા કરી લીધા બાદ બાપાશ્રીએ શું કરવાનું કહ્યું? શા માટે?
૩.કંઠી, તિલક-ચાંદલા માટે બાપાશ્રીએ શું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બાપાશ્રીએ ------------ ગ્રહણ કર્યો હતો.
૨.મને ------------ અને --------- કરી આપો.
૩.---------------- ન કર્યું હોય તો કોઈને કેવી રીતે ખબર પડે કે, આ ---------- છે.
૪.તિલક-ચાંદલો એ અક્ષરધામમાં જવાનું ------------ છે.