૧. ભગવાનનો નિશ્ચય જીવમાં થયાની રીત - ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચય જણાવાની રીત - મન-વાણી થકી પર ભગવાનને પામવાનો ઉપાય - ઇયળની ભમરી માફક ભક્તના ઇંદ્રિયાદિકનું ભગવદાકારે થવાપણું.
સંવત 1877ના ભાદરવા સુદિ 12 દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો, ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું, ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂનાં ઢીંચણિયાં મૂક્યાં હતાં, ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
એમ શ્રીજીમહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! ઇંદ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ને અંત:કરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઇંદ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં-અડ્યામાં આવે છે તેમાં કેટલાંક શુભ છે ને કેટલાંક અશુભ છે, ને કેટલાંક સુખરૂપ છે ને કેટલાંક દુ:ખરૂપ છે, ને કેટલાંક પ્રિય છે ને કેટલાંક અપ્રિય છે, ને કેટલાંક યોગ્ય છે ને કેટલાંક અયોગ્ય છે એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કાંઈ સંશય ન થાય તો એને ઇંદ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણનાં જે કાર્ય છે તેમાં આળસ-નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે ને કામ-ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને જેમ નરનારાયણ પિતૃદેવ કર્મ કરતા હવા તે શમદમાદિક સત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કાંઈ સંશય ન થાય તો એને અંત:કરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તો ય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય ને તેમાં કાંઈ સંશય ન થાય તો એને જીવને વિષે નિશ્ચય જાણવો, ત્યાં દૃષ્ટાંત છે: જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે તરત બૂડી જાય પણ જો તરત તેને તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે પણ જો તેને ગાઉ અર્ધો ગાઉ જાવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે અને જો ધીરે ધીરે જાવા દે ને ધરતીમાં ખુંતે તો તે પાછો તાણ્યો તણાય નહિ ને નીસરે પણ નહિ, એમ જેને જીવને વિષે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ, એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી પણ આ તો દિશ માત્ર લખી છે.(બા.૨)
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) હે મહારાજ! ભગવાન તો મન-વાણી થકી પર છે ને ગુણાતીત છે તેને માયિક એવાં જે અંત:કરણ તે કેમ પામે? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ દેહ, ઇંદ્રિયો ને અંત:કરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇંદ્રિયો-અંત:કરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય ને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે અને પ્રધાનમાંથી મહત્તત્વ થયું અને મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇંદ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયાં તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે જીવ ને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, ને જે કાળ એ માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે, એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે જે તે એ ઇંદ્રિયો-અંત:કરણે કરીને કેમ જાણ્યામાં આવે? એ તમારો પ્રશ્ન છે કે નહિ? ત્યારે સૌએ કહ્યું જે, હે મહારાજ! એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ ને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી કાં જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે:--
बुद्धींद्रिय-मन:प्राणान् जनानामसृजत् प्रभु:।
मात्रार्थं च भवार्थं च ह्यात्मने कल्पनाय च॥
એ શ્લોકમાં એમ કહ્યું છે જે, સર્વે જનનાં બુદ્ધિ, ઇંદ્રિયો, મન ને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જાવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે, માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રર્વત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે? એ તો આવે જ.(બા.૩)
એમ શ્રીજીમહારાજે કહ્યું, ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૪) હે મહારાજ! આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે
॥ यतो वाचो निवर्त्तन्ते अप्राप्य मनसा सह ॥
ત્યારે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા બોલ્યા જે એનું એમ છે જે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને તેજ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને વાયુ આકાશને વિષે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો; એમ મન-વાણી ભગવાનને નથી પામતાં.(બા.૪)ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૫) હે મહારાજ! શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે
॥ निरंजन: परमं साम्यमुपैति बहवो ज्ञान तपसा पूता मद्भावमागता:॥
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો અમે અભક્તનાં મન-ઇંદ્રિયોને કહ્યું છે પણ ભક્તનાં મન-ઇંદ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે, એમ જે ભગવાનના ભક્ત હોય તેનાં જે દેહ, ઇંદ્રિયો, અંત:કરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે તેનાં ઇંદ્રિયો, અંત:કરણ, દેહ તેને આકારે એ ભક્તનાં દેહ, ઇંદ્રિયો, અંત:કરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે, ત્યાં દૃષ્ટાંત છે: જેમ ભમરી ઇયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે તેણે કરીને તે ઇયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઇયળનું રહેતું નથી; ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનના ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને આ જે અમે વાર્તા કરી તેનું હારદ એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે, તે બેયની એ ગતિ કહી છે.(બા.૫)પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેનાં દેહ, ઇંદ્રિયો ને અંત:કરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થાતું, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે એમ વાર્તા કરીને બોલ્યા જે, હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારાં કીર્તન બોલો, એમ કહીને પોતે ધ્યાન કરવા મંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.(બા.૬)
ઇતિ વચનામૃતમ્ || 1 || (97)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જીવ બુદ્ધિએ સહિત હોય ત્યારે અંત:કરણ, ઇંદ્રિયો, વિષય ને દેવતા તેમને એકકાળાવછિન્ન જાણે છે અને બુદ્ધિએ રહિત હોય ત્યારે ઇંદ્રિયાદિકનો પ્રકાશક ને વ્યાપક છે અને અમારો નિશ્ચય પ્રથમ ઇંદ્રિયોમાં પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. (1) બીજામાં ઇંદ્રિયો, અંત:કરણ ને જીવમાં નિશ્ચયનાં રૂપ કર્યાં છે. (2) ત્રીજામાં મન-વાણીને અગોચર એવા અમે તે કૃપા કરીને મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ ત્યારે જે અમારા મુક્તનો સમાગમ કરે તેના જાણ્યામાં આવીએ છીએ. (3) ચોથામાં અભક્તનાં મન-વાણી અમને પામતાં નથી. (4) પાંચમામાં અમારા ભક્તનાં દેહ, ઇંદ્રિયો, અંત:કરણ તે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. (5) અને કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મસત્તાને પામે છે. (6) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં શુભ-અશુભાદિક પદાર્થ કહ્યાં તે કિયાં જાણવાં?
ઉ.૧ દૂધ, સાકર, ઘી, ગોળ આદિક રસ તથા ઘઉં, ચોખા, તુવેર, બાજરી આદિક અનાજ તથા દાડમ, અંજીર આદિક ફળ તથા લવીંગ, એલચી, સોપારી, તજ એ આદિક મુખવાસ તથા ચંદન, તુળસી, જાય, મોગરા, ચંબેલી, ગુલાબ એ આદિક સુગંધીમાન પુષ્પ તે શુભ સુખદાયી, પ્રિય ને યોગ્ય છે. અને કસાયલું, ઊતરેલું, સડેલું, બગડેલું એવાં અનાજ તથા અફીણ, ગાંજો, માજમ, ભાંગ્ય, તમાકુ, મદ્ય, માંસ, હિંગ એ આદિક કેફી વસ્તુઓ તે અશુભ, દુ:ખદાયી, અપ્રિય ને અયોગ્ય છે. તે સર્વે પદાર્થને ભગવાન અંગીકાર કરે તો પણ સંશય થાય નહિ તે ઇંદ્રિયોમાં નિશ્ચય જાણવો, અને આળસ, નિદ્રા, કામ, ક્રોધાદિક સ્વભાવ ભગવાનમાં દેખાય તથા ભગવાન કોઈક દેવની પૂજા કરતા હોય ત્યારે સંશય ન થાય જે ભગવાન હશે કે નહિ હોય તે અંત:કરણમાં નિશ્ચય જાણવો. અને પોતાના દેહની ખબર ન રાખે ને ઋષભદેવની પેઠે ગુણાતીત સ્થિતિમાં વર્તે તો પણ સંશય ન થાય જે ભગવાન તો સ્વતંત્ર હોય ને આવું પરતંત્રપણું જણાય છે માટે ભગવાન હશે કે નહિ તે જીવમાં નિશ્ચય જાણવો.
પ્ર.૨ ઇંદ્રિયો-અંત:કરણ તો જડ છે ને ભગવાનનો નિશ્ચય તો ચૈતન્યમાં થવો જોઈએ અને ઇંદ્રિયોમાં થાય એમ કહ્યું તે શી રીતે સમજવું?
ઉ.૨ ચૈતન્ય એવો જીવ તે હૃદયને વિષે રહ્યો થકો ઇંદ્રિયો દ્વારે આવીને વિષયનું તથા જ્ઞાનનું ગ્રહણ કરે છે એમ (જે. 2ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે સત્પુરુષ થકી અથવા ભગવાન થકી વાત સાંભળીને અથવા ભગવાન થકી પરચા, ચમત્કાર, સમાધિ જોઈને ભગવાન જાણ્યા હોય પણ તેનું મનન ને નિદિધ્યાસ કરીને ભગવાનનું અન્વય-વ્યતિરેકપણું, સગુણ-નિર્ગુણપણું, કર્તા-અકર્તા-અન્યથાકર્તાપણું, અવતાર-અવતારીપણું, નિર્લેપપણું, અસંગીપણું, નિર્વિકારપણું, સર્વોપરીપણું, એવું યથાર્થ જ્ઞાન થયું ન હોય તે નિશ્ચય ઇંદ્રિયોમાં કહેવાય. અને ભગવાન અથવા સત્પુરુષ થકી ઉપર કહ્યો એવો યથાર્થ મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય ને ધ્યાને કરીને અંતરને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે અંત:કરણમાં નિશ્ચય કહેવાય. અને એવો મહિમા સમજીને પોતાના આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે જીવમાં નિશ્ચય કહેવાય, આ નિશ્ચય કોઈ રીતે ડગે નહિ.
પ્ર.૩ પાંચમા પ્રશ્નમાં અમારા ભક્તનાં ઇંદ્રિયો-અંત:કરણ સર્વે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, એમ કહ્યું તે શ્રીજીમહારાજને આકારે કેવી રીતે થતાં હશે? અને દિવ્ય કેવી રીતે થતાં હશે? અને એ ને એ દેહે કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે એમ કહ્યું તે એ ને એ દેહે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ જેવું (લો. 7ના 1/3 પહેલા પ્રશ્નમાં) અનુભવજ્ઞાન કહ્યું છે જે, ભગવાનને જાણે ને દેખે એવું સ્થિતિએ સહિત જ્ઞાન કહ્યું છે તે એ ભક્ત શ્રીજીમહારાજના સ્વરૂપને, સંતના અથવા શ્રીજીમહારાજના સમાગમે કરીને, યથાર્થ જાણીને ધ્યાને કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરે ત્યારે ભગવાનને આકારે થાય છે એટલે ભગવાનના જેવો જ દિવ્ય મૂર્તિમાન થાય છે, માટે એનાં ઇંદ્રિયો પુરૂષોત્તમરૂપ થઈ જાય છે એમ કહ્યું તે જેમ પુરૂષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેમ એનાં અવયવ જાણવાં પણ માયિક ઇંદ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું. અને એ ને એ દેહે કરીને એટલે જે દેહમાં રહ્યો છે તે દેહે જ શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે પણ બીજો દેહ ધરવો પડતો નથી.
પ્ર.૪ ઇયળને દૃષ્ટાંતે શું જાણવું? ને ભમરીના દૃષ્ટાંતે શું જાણવું? ને ચટકાને દૃષ્ટાંતે શું જાણવું? ને ગુંજારવને દૃષ્ટાંતે શું જાણવું?
ઉ.૪ ઇયળને ઠેકાણે જીવ જાણવો, અને ભમરીને ઠેકાણે ભગવાન જાણવા, અને ચટકાને ઠેકાણે ભગવાનનું જ્ઞાન જાણવું, અને ગુંજારવને ઠેકાણે મહિમા જાણવો એટલે જીવને ભગવાન અથવા ભગવાનના સંત મળે તે ભગવાનનું જ્ઞાન આપીને વારંવાર ભગવાનનો મહિમા કહે તે મહિમા સમજાય ત્યારે ભગવાનનું ધ્યાન થાય તેણે કરીને જીવ ભગવાનના જેવો દિવ્ય સાકાર થઈને શ્રીજીમહારાજની હજૂર સેવામાં રહે છે.
પ્ર.૫ (5/6 પાંચમા પ્રશ્નમાં) કેવળ આત્મનિષ્ઠ બ્રહ્મસત્તાને પામે છે એમ કહ્યું તે બ્રહ્મસત્તા તે કઈ જાણવી?
ઉ.૫ બ્રહ્મ જે મૂળપુરુષના તેજરૂપ અક્ષરબ્રહ્મ તેમાં લીન થાય તે બ્રહ્મસત્તા કહી છે.