૬. એક એક અવસ્થાને વિશે રહેલી બીજી બે બે અવસ્થાઓનું રૂપ - ચાર વાણીનાં રૂપ.
સંવત 1877ના શ્રાવણ વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશે સૂક્ષ્મ છે ને શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિ કાળને વિષે પુરૂષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું જે સહસ્રદળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહા પ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટપુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થાતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે ને તેજના પ્રવાહરૂપ છે ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થાતી હવી. ને ત્યાંથી કંઠ દેશને પામીને મધ્યમા નામે થાતી હવી. ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી. અને અકાર, ઉકાર ને મકાર, એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થાતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થાતી હવી. એવી રીતે વિરાટપુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી, એ ચાર વાણી સમજવી.(બા.૩)
હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરૂષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે, ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ ને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા-અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે ને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતાં નથી.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 6 || (84)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સ્થૂળ દેહે વિવેકે સહિત પૂર્વ કર્માનુસારે બાહ્ય પંચવિષયના ભોગને ભોગવે તે સત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા કહી છે ને તેમાં ભ્રાંતિએ કરીને અયથાર્થપણે ભોગ ભોગવાય તે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કહી છે, ને જાગ્રતમાં વિવેક રહિત ભોગ ભોગવાય તે જાગ્રતમાં સુષુપ્તિ કહી છે, આ સ્થૂળ દેહની વિક્તિ છે અને સૂક્ષ્મ દેહમાં પૂર્વ કર્માનુસારે વાસનામય ભોગ ભોગવે તે રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા છે ને સ્વપ્નમાં વિવેકે સહિત વાસનામય ભોગ ભોગવે તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે ને સ્વપ્નના ભોગને ભોગવતો થકો જાણે નહિ તે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે, અને ઇંદ્રિયો, અંત:કરણની વૃત્તિઓ તથા વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વ કારણ દેહમાં લીન થઈ જાય તે તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા છે અને એ સુષુપ્તિને વિષે કર્તાવૃત્તિ ઉત્પન્ન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન છે અને જાગ્રત ને સ્વપ્નની પીડાના તાપની વૃત્તિ સુષુપ્તિના સુખમાં પ્રવેશ કરે તેના પ્રતિલોમપણાનું જ્ઞાન થાય તે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા છે. આ કારણ દેહની વિક્તિ છે. (1) અને આ અવસ્થાઓના ભેદનું જ્ઞાન આપનારા અને આ અવસ્થાઓને વિષે જીવોને કર્મ ફળને આપનારા મૂળપુરુષ દ્વારાએ અમે છીએ. (2) બીજામાં વૈરાજપુરુષની ચાર વાણીનું રૂપ કર્યું છે. (3) અને જીવની ચાર વાણીનાં રૂપ કર્યાં છે. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં જીવની જાગ્રત અવસ્થાને વૈરાજની સ્થિતિ અવસ્થાનું કાર્ય કહી, અને સ્વપ્ન અવસ્થાને હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય કહી અને સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી તે વૈરાજ, હિરણ્યગર્ભ અને ઈશ્વર કિયા જાણવા?
ઉ.૧ વૈરાજની સ્થિતિ અવસ્થા ને જીવની જાગ્રત અવસ્થા તે પ્રદ્યુમ્નની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે, માટે આ ઠેકાણે વૈરાજ નામે પ્રદ્યુમ્નને કહ્યા છે. અને વૈરાજની ઉત્પત્તિ અવસ્થા અને જીવની સ્વપ્ન અવસ્થા તે અનિરુદ્ધની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે. માટે આ ઠેકાણે હિરણ્યગર્ભ નામે અનિરુદ્ધને કહ્યા છે. અને વૈરાજની પ્રલય અવસ્થા ને જીવની સુષુપ્તિ અવસ્થા તે સંકર્ષણની પ્રલય અવસ્થાનું કાર્ય છે માટે ઈશ્વર નામે સંકર્ષણને કહ્યા છે.
પ્ર.૨ માયા સબળિત બ્રહ્મ કહ્યા તે કોને જાણવા?
ઉ.૨ પ્રધાનના પતિ પુરુષને માયા સબળિત બ્રહ્મ કહ્યા છે.
પ્ર.૩ (1/2 પહેલા પ્રશ્નમાં) તુર્યપદ, દૃષ્ટા, અંતર્યામી, બ્રહ્મ તથા પરબ્રહ્મ કહ્યા તે કોને જાણવા?
ઉ.૩ એ સર્વે નામે મૂળપુરુષને કહ્યા છે.
પ્ર.૪ (2/3 બીજા પ્રશ્નમાં) અક્ષરબ્રહ્માત્મક નાદ કહ્યો તેનો અર્થ શો સમજવો?
ઉ.૪ શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો ઘોષ થાય છે તેને નાદ કહ્યો છે. તે નાદ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરબ્રહ્મમાંથી થાય છે, માટે અક્ષરબ્રહ્માત્મક કહ્યો છે તે નાદ મૂળઅક્ષર દ્વારે મૂળપુરુષમાં આવે છે અને મૂળપુરુષ દ્વારે વૈરાજપુરુષને વિષે આવે છે.