૧૭. વિપરીત મતિ ન થવાનો ઉપાય - દેહાભિમાની ને વિષયી સત્સંગમાં નભે જવાનું કારણ - પંચવિષયના અનાદરવાળાનાં લક્ષણ - વિષયનો અભાવ થવાનો ઉપાય.
સંવત 1877ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી, તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોર ધોળે અંગરખે સહિત પહેરી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા.
પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે,
એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય ને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ તે શાણે કરીને થાય? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને દેહનો અનાદર હોય અને દૃઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ.(બા.૨)
અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશે અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.(બા.૩)
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે તે કેમ સમજવું? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થાશે, જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ-સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજ-સવારે, આજ-કાલ જરૂર મરનારો છે, તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને, વરસે બે વરસે, દશ વરસે, દેહ મૂક્યા સમે, દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જાશે.(બા.૪)
અને જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય જે, અંત:કરણ-ઇંદ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન-સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થાઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુ:ખી થાઉં એવો નથી એમ દૃઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહિ ને તુચ્છ પદાર્થ સારુ સંત સાથે બખેડો થાય નહિ ને આંટી પણ પડે નહિ.(બા.૫)
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૪) જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે, જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહિ; મૂંઝાઈ જાય અને લૂંગડાં જેવાં તેવાં જાડાં પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણાં લૂંગડાં પહેરવાં પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય, તેમ જ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિક જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહિ ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિષે અભાવ છે.(બા.૬)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૫) હે મહારાજ! એ પંચવિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે તે માહાત્મ્ય તે શું તો જે ભગવાનની બીકે કરીને ઇંદ્ર વરસે છે, સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, લોભ, ક્રોધ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન-સ્મરણ, કથા-વાર્તાને વિષે માલ છે, ને અક્ષર તે આવા છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે, એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને, અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને, જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવો કિયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે? કોઈ ન પાડે, જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ, તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે? ન પડે. અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, એવા મોટા જે, ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે, જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઇચ્છ્યા ને વૃક્ષવેલીનો અવતાર માગ્યો, કેમ જે એવા મોટા ભગવાન, જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશે ભાળી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે? ને તેને નમાય કેમ નહિ? તેને આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય ને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે ને એમ સમજે જે મારાં મોટાં ભાગ્ય થયાં જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાંના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું નિ:સ્વાદી વર્તમાન પાળું છું તે મારાં મોટાં ભાગ્ય છે! અને પ્રારબ્ધવશ થઈને જેવાં તેવાં વસ્ત્ર તથા ચીંથરાં પહેરવાં પડત તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારાં મોટાં ભાગ્ય છે!(બા.૭)
અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી નહિ તો અવગુણ લેત નહિ, જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે? લેશમાત્ર પણ થાતું નથી શા માટે જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે જે, એ તો મુલકનો બાદશાહ છે ને હું તો કંગાલ છું, એવું જાણીને ધોખો થાય નહિ તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ ને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ, માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે.(બા.૮)
અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.(બા.૯)
ઇતિ વચનામૃતમ્ || 17 || (125)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે માયાને વિપરીતપણામાં હેતુ કહી છે. (1) બીજામાં દેહનો અનાદર, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત અમારો નિશ્ચય હોય તો દેશકાળના અતિ વિષમપણામાં પણ મતિ અવળી થાય નહિ. (2) અને દેહાભિમાનીને અમારો નિશ્ચય યથાર્થ હોય તો પણ પંચવિષયનો અભાવ ન થયો હોય તેનું અમે કે સંત ખંડન કરીએ તો અભાવ લે ને શસ્ત્રે કરીને માથું મુકાવી દે એવો દ્રોહ કરે. (3) ત્રીજામાં વિષયની આસક્તિવાળાના વિષયનું ખંડન કરીએ નહિ ત્યાં સુધી સત્સંગમાં રહે અને ખંડન કરીએ ત્યારે અભાવ લઈને વિમુખ થાય. (4) અને જે પોતાને આત્મસત્તારૂપ માને તેના વિષયનું ખંડન કરીએ તો ય તેને અમારો ને સંતનો અભાવ ન આવે. (5) ચોથામાં જેવી તેવી વસ્તુમાં આનંદ હોય તેવો સારીમાં ન રહે ને મન મૂંઝાય તેને વિષયનો અભાવ છે. (6) પાંચમામાં આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તથા સર્વના સુખથી અમારા સુખને અધિક જાણીને અમારે વિષે જોડાય તે અમારો પાડ્યો પણ પડે નહિ ને અમારા સંતનું પણ માહાત્મ્ય બહુ સમજે અને તેને માન પણ રહે નહિ. (7) અને જેને આવો મહિમા જાણ્યામાં ન આવ્યો હોય તેને સંતની આગળ માન આવે છે. (8) અને જેને અમારું ને સંતનું માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ એમ કહ્યું છે. (9) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં માયાથી વિપરીતપણું થાય છે એમ કહ્યું તે કેવી રીતે થતું હશે?
ઉ.૧ માયાના ગુણ જે કામ, ક્રોધ, લોભ, માન આદિક છે તે દોષ જેમાં રહ્યા હોય તે દોષનું ભગવાન કે સંત ખંડન કરે ત્યારે પોતાના દોષનો અભાવ ન લે ને ભગવાનનો ને સંતનો અવગુણ લઈને પડી જાય અથવા શ્રીજીમહારાજના દ્વેષીનો યોગ થાય તો તે શ્રીજીમહારાજના ને સંતના અવગુણ ઘાલે તેણે કરીને વિમુખ થાય અથવા કુસંગનો યોગ થાય તો સત્સંગ મૂકી દે એ વિપરીતપણું જાણવું.
પ્ર.૨ (3/4 ત્રીજા પ્રશ્નમાં) દેહાભિમાની દેહ મૂકીને પણ સંતનો અવગુણ લઈને પડી જાય એમ કહ્યું તે દેહ મૂક્યા પછી અવગુણ શી રીતે લેવાતો હશે?
ઉ.૨ દેહાભિમાનીનું કલ્યાણ થાય નહિ માટે તેને ફેર જન્મ ધરવો પડે તે ફરીને જન્મ ધરે ત્યારે પણ સંતનો અવગુણ લે ને પડી જાય.
પ્ર.૩ (5/7 પાંચમા પ્રશ્નમાં) પુરુષ, કાળ ને અક્ષર કહ્યા તે કોને કોને જાણવા?
ઉ.૩ મૂળપુરુષને પુરુષ કહ્યા છે, તે પુરુષના કાર્યનો નાશ કરી નાખે તેને કાળ કહ્યા છે. અને મૂળઅક્ષરને અક્ષર કહ્યા છે.
પ્ર.૪ ગોલોકનું ને પ્રકૃતિપુરુષનું સુખ જુદું જુદું કહ્યું તે ગોલોકનું સુખ કિયું જાણવું? અને પ્રકૃતિપુરુષનું સુખ કિયું જાણવું?
ઉ.૪ ગોલોકને વિષે ગોપ-ગોપિકા આદિક પાર્ષદોના સુખને ગોલોકનું સુખ કહ્યું છે. અને મૂળમાયા ને મૂળપુરુષના સુખને પ્રકૃતિપુરુષનું સુખ કહ્યું છે પણ એ બે લોક જુદા નથી, જેમ નગરમાં વસ્તી હોય ને રાજાનો દરબાર હોય તેમ છે.
પ્ર.૫ આમાં અક્ષરને પોતાની શક્તિ કહી અને (પ્ર. 72ના 2/4 બીજા પ્રશ્નમાં) અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું છે તે ધરી રહ્યા છે તે શક્તિ કઈ જાણવી? અને અક્ષરને શક્તિ કહી તે કઈ જાણવી?
ઉ.૫ આમાં ઉપકરણ શક્તિ જે મૂળઅક્ષર તેને શક્તિ કહી છે. અને (પ્ર. 72માં) પોતાના તેજરૂપ અભેદ શક્તિને કહી છે તે અભેદ શક્તિ વડે કરીને ભેદ શક્તિ જે મૂળઅક્ષરાદિક તે સર્વને ધરી રહ્યા છે અને પોતે તો તે અભેદ શક્તિ જે પોતાનું તેજ તેના પણ આધાર છે.
પ્ર.૬ (5/7 પાંચમા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનું માહાત્મ્ય સમજતો હોય તે શ્રીજીમહારાજનો પાડ્યો પણ શ્રીજીમહારાજના ચરણારવિંદથી પડે નહિ એમ કહ્યું તે શ્રીજીમહારાજ કેવી રીતે પાડે તો પણ ન પડે?
ઉ.૬ શ્રીજીમહારાજ પોતાને વિષે દીર્ઘરોગ બતાવે તથા હારે, ભાગે, બીએ, તથા અયોગ્ય ક્રિયા કરે એવાં ચરિત્ર કરે તો પણ મનુષ્યભાવ ન આવે તથા અમે તો સાધુ કે સત્પુરુષ કે મુક્ત છીએ ને ભગવાનની મૂર્તિને દેખીએ છીએ પણ ભગવાન નથી એમ કહે તો પણ લેશમાત્ર સંશય થાય નહિ તે ભગવાનનો પાડ્યો પણ ન પડ્યો કહેવાય.
પ્ર.૭ એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે એવો મહિમા અમને ભજતા હોય એવા સંતનો જાણવો, એમ શ્રીજીમહારાજે કહ્યું તે સાક્ષાત્ ઉપાસક એટલે કેવા જાણવા?
ઉ.૭ સાક્ષાત્ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તેમના સમીપમાં સદાય રહેનારા ને એક ક્ષણવાર પણ મૂર્તિનો વિયોગ ન હોય એવા સંતને સાક્ષાત્ ઉપાસક જાણવા.